૧૦૫ દિવસના વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ

આજ મધ્યરાત્રિથી લાયરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

દુનિયાભરમાં અવકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે.

તા. ૨૧ તથા ૨૨, એપ્રિલ પરોઢ સુધી આકાશમાં રીતસર ઉલ્કા વર્ષા પડતી નજરે પડશે.

રાત્રિના ૧ થી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય. તા. ૨૨ મી રાત્રીએ જોરદાર ઉલ્કાવર્ષા.

કલાકની ૧૫ થી ૧૦૦ ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જોવા મળશે.

રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ.

અમદાવાદ : દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે

નિહાળી હતી. ૧૦૫ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા. ૧૫ મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. ૨૯મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. ૧૫ મી મંગળવાર મધ્યરાત્રિથી તા. ૨૯ મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૨૧ તથા ૨૨ મી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૧૦૦ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. મધ્યરાત્રિએ જોવા મળશે.

વધુમાં પંડયા જણાવે છે કે લાયરીડસ ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ તા. ૨૧ તથા ૨૨ પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોન શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

એડવોકેટ પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. પોતાના ગામમાં ઉલ્કાવર્ષા જોઈ શકાશે.

જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. લાયરીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં બે દિવસીય તા. ૨૨-૨૩ એપ્રિલ મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.

લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા. ૨૧ તથા ૨૨ રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે અનેક સદસ્યો જોડાયા છે.

રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ખગોળીય ઘટના જોવા લોકો ઉત્સુક થાય તેવા જાથાના પ્રયાસને ટેકો આપી વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here