અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એકવા કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહિ
અંકલેશ્વર,
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા.
આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડી.પી.એમ.સીના કુલ 8 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતાં માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવાનાં કારણો અને નુકસાનીનો અંદાજ લગાવવાનો હજુ બાકી છે.
કેતન મહેતા, અંકલેશ્વર