*ભરૂચ નજીક NH-48 પર આઇસર ટેમ્પામાં આગ: ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી*ભરૂચ, ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પાની કેબિનમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. નબીપુર વિસ્તાર નજીક બનેલી આ ઘટનામાં ડ્રાઇવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આઇસર ટેમ્પાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં જ ચાલકે તત્કાલ વાહન રોકી દીધું હતું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે, સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી અને વાહનોની અવરજવર પુનઃ સુચારુ બનાવી હતી. ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ