અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળામાં જન્માષ્ટમી પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યું
અંકલેશ્વર,
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસવીઇએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરીથી ધોરણ આઠ સુધીનો જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણના જન્મોત્સવને ઉજવવા માટેના ઉત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી વિરલભાઈ શાહ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ગીરાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેનની સુચના મુજબ ધોરણ 7 અને તેના માટે ફાળવેલ ‘જન્માષ્ટમી’ ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ સુંદર અભિનયગીત રજૂ કર્યું હતું. જ્યારે ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવથી લઈ કંસ વધ સુધીના પ્રસંગની નૃત્ય નાટિકા રજૂ કરી હતી. ધોરણ ચારના વિદ્યાર્થીઓ રાસ તેમજ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ સુંદર રાસલીલા અને ત્યારબાદ મટકી ફોડની કૃતિ રજૂ કરી સૌને મોહી લીધા હતા.આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને મોટી સંખ્યામાં આસપાસના રહીશોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ