તા.19-03-2022
પાલીતાણા પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. સમસ્ત મહાજન સંસ્થા દ્વારા વડીયા(પાલિતાણા) ખાતે બાવળની સફાઇ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી, ગુજરાત ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયા, પાલીતાણાનાં ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહનાં વરદ હસ્તે થઈ હતી.
રિપોર્ટર :- નટવરલાલ ભાતિયા